Monday, June 7, 2010

વૈવાહિક સુખમાં તિરાડ

વૈવાહિક સુખમાં તિરાડ

પરણવું એટલે પ્રભુતામાં પગલાં પાડવાં.પરંતુ પ્રભુતામાં પગલાં પાડવાની એટલે કે વિવાહ કરવાની યોગ્ય ઉંમર વીતી જવા છતાં લગ્ન થતાં નથી ત્યારે લગ્નવાંછીત યુવક- યુવતીઓ મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાય છે અને જ્યોતિષીઓને પ્રષ્ન પૂછતા હોય છે કે મારા લગ્ન કેમ થતા નથી ? મારી કુંડળીમાં લગ્ન યોગ છે કે નહીં ? અને જેના લગ્ન થઈ ગયા છે, પરંતુ લગ્નજીવનના સુખનો આસ્વાદ માણી શકતા નથી તેવા જાતકોને કયા યોગોને કારણે પોતાનુ જીવન દુઃખી છે તે પ્રશ્ન સતત સતાવતો હોય છે અને તેના સમાધાન માટે જ્યોતિષીઓનો આશ્રય લેતા હોય છે.

હવે પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે કયા યોગો લગ્ન ન થવામાં, લગ્ન વિલંબથી થવામાં અને લગ્નજીવનની મજાને સજામાં ફેરવવામાં કારણભૂત બને છે !!!!!…

લગ્નજીવન માટે સપ્તમ સ્થાન, સપ્તમેશ અને લગ્નનો કારક શુક્ર મહત્વના પરિબળો છે. મંગળ પણ લગ્નજીવનને થોડા ઘણા અંશે અસર કરતો હોય છે.પુરુષની કુંડળીમાં પત્નીના કારક શુક્ર ઉપરાંત ચંદ્ર, અને સ્ત્રીની કુંડળીમાં પતિના કારક ગુરુ ઉપરાંત સૂર્યનો અભ્યાસ કરવો પણ જરૂરી બની રહે છે.

અનેક કુંડળીઓના અધ્યન બાદ એવુ તારણ નિકળ્યું છે કે નીચેના યોગો વૈવાહિક સુખ માટે વિઘ્ન બને છે અને લગ્ન ન થવામાં, વિલંબથી થવામાં કે લગ્નજીવનમાં દુઃખ અને વિસંવાદિતતાનુ સર્જન કરવામાં કારણભૂત બને છે.

( ૧ )- સપ્તમ સ્થાને પાપગ્રહોની ઉપસ્થિતિ કે દ્રષ્ટિ અથવા સપ્તમસ્થાન પાપકર્તરિમાં હોય અને સાતમું સ્થાન શુભ ગ્રહોથી યુત કે દ્રષ્ટ ન હોય તો લગ્નસુખ ન મળે.

( ૨ )-સપ્તમેશ ૬-૮-૧૨મે જાય તે લગ્નજીવનની સૌથી મોટી કમનસીબી છે તેજ રીતે ૬-૮-૧૨મા ભાવનો સ્વામી સાતમા સ્થાને હોય કે દ્રષ્ટિ કરતો હોય તો પણ દાંપત્ય સુખ મળતું નથી. સપ્તમેશની દ્વિતીય સ્થાને ઉપસ્થિતિ પણ શુભ નથી.

( ૩ )-સપ્તમેશ નીચનો -અસ્તનો કે શત્રુ ક્ષેત્રી હોય અથવા મંગળ-શનિ-રાહૂ જેવા પાપ્ગ્રહોના પ્રભાવમાં હોય તો પણ લગ્નજીવનમાં સુખ-શાંતિ રહેતા નથી.

( ૪ )-લગ્નજીવનનો કારક શુક્ર નીચનો કે અસ્તનો કે શત્રુક્ષેત્રી હોય કે મંગળ-શનિ-રાહુ જેવા પાપગ્રહોના પ્રભાવમાં હોય અને દુઃસ્થાને હોય તો પણ લગ્નજીવનની મજા માણવા મળતી નથી.

( ૫ )-સપ્તમ સ્થાને કેતુ હોય અથવા સપ્તમેશ કે શુક્રની સાથે કેતુ હોય તો દાંપત્યસુખનો અભાવ દર્શાવે છે.

( ૬ )-સ્ત્રી જાતકની કુંડળીમાં ગુરુ નીચનો ( મકર રાશિનો )-અસ્તનો કે શત્રુક્ષેત્રી હોય તેમજ પાપગ્રહોના પ્રભાવમાં હોય, ગુરુ-રાહુનો વિપ્ર-ચાંડાલ અતિ અશુભ યોગ હોય,.તેજ રીતે સૂર્ય નીચનો (તુલા રાશિનો ) કે શત્રુક્ષેત્રી સૂર્ય દુઃસ્થાને (૬-૮-૧૨ સ્થાને ) અશુભ યોગમાં હોય તો પણ લગ્નસુખ માણવા દેતો નથી.સપ્તમ સ્થાને પણ સુર્યને શુભ માનવામાં આવતો નથી.

આજના યુગમાં મોટા ભાગના જ્યોતિષીઓ ફક્ત જન્મકુંડળીના ગુણાંકને આધારે વર-કન્યાના લગ્ન માટે અનુમતિ આપે છે,પરંતુ મારા અંગત અનુભવમાં એવા ઘણાં કિસ્સા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં ઉચ્ચ ગુણાંકન મળવા છતાં લગ્નજીવન મૂશ્કેલીમાં મુકાયું હોય.તેથી ગુણાંકન સાથે વર-કન્યાની જન્મકુંડળીના ગ્રહોના પ્રભાવની અસર તપાસવી ખૂબ જ જરૂરી છે.વર્-કન્યાના વૈવાહિક જીવનનો સંબંધ તપાસવા જન્મકુંડળીમાં ગુરુ અને શુક્ર સૌથી મહ્ત્વના ગ્રહ છે.તથા સાતમા સ્થાન ઉપરાંત કુંડળીમાં પ્રથમ, ચોથુ,પાંચમું,અને બારમું સ્થાન પણ લગ્નજીવનની સફળતા માટે મહત્વનું છે કારણકે આ સ્થાનમાં રહેલા ગ્રહો, તેની યુતિ,દ્રષ્ટિસંબંધ અને રાશિ પણ લગ્નજીવન પર અસર કરે છે.

No comments:

Post a Comment